મોટા પડદે મોટ્ટી નામના ધરાવતા સિતારાઓને ઓટીટી સાથે પણ આત્મીયતા છે. બોક્સ ઓફિસ કલેક્શનની ચિંતા વિના તેઓ ઘરપડદે કસબ દાખવી શકે છે. આ વરસે પણ અમુક ટોપ સ્ટાર્સે એના પર આગમન કર્યું છે અને આગળ પણ કરવાના છે

ફિલ્મોમાં દબદબાભર્યું સ્થાન ધરાવતા સિતારાઓને ઓટીટી શું કામ આકર્ષી રહ્યું છે? ઘણાં કારણોસર. ઓટીટીના કામમાં બોક્સ ઓફિસની જરાય ચિંતા કરવાની નથી હોતી. પૈસા પણ બહુ તગડા મળે. દર્શકોને સ્ટાર્સ ઘરપડદે આવે ત્યારે થોડી અલગ તાલાવેલી અને ઉત્કંઠા રહે છે. ફિલ્મોમાં જે અખતરા શક્ય નથી હોતા એ બધા ઓટીટી પર શક્ય થાય છે. પાત્ર અને વાર્તાપ્રવાહ બેઉમાં એ શક્ય છે. ફિલ્મો કરતાં ઓટીટી પર વાર્તા કહેવાની જુદી રીત હોવાથી પણ જુદા પ્રકારનો અનુભવ મેકર્સ, સ્ટાર્સ અને દર્શકોને મળે છે. આ બધાનો તાળો મેળવીએ કે સ્પષ્ટ થઈ જાય છે કે બિગ સ્ટાર્સ ઓટીટી પર આવતા રહેશે. જેઓ આવી ગયા છે તેઓ પાછા આવશે અને જેઓ નથી આવ્યા એ પણ આવવા ઝંખતા હશે.

ઓટીટી પર આગમન કરવાની લાંબી કતારમાં કરીના કપૂર પણ હતાં. એમનો હાલમાં જ નંબર લાગ્યો. સુજોય ઘોષની ફિલ્મ ‘જાને જાં’ હાલમાં જ નેટફ્લિક્સ પર આવી. ‘દૃશ્યમ્’ જેવી ગાજેલી ફિલ્મ અને સુજોય ઘોષને સ્ટાર મેકર બનાવનારી ફિલ્મ ‘કહાની’ જેવા તરેહની એ ફિલ્મ છે. જોકે ઘોષે ૨૦૦૩માં કરીઅરની શરૂઆત ‘ઝંકાર બીટ્સ’થી કરી હતી અને એ પણ મસ્ત અને સફળ ફિલ્મ હતી. વિદ્યા બાલન સાથેની ‘કહાની’ એમને વધુ ફળી, બસ એટલું જ. ‘જાને જાં’માં કરીનાના ભાગે મિસીસ ડિસોઝાનું પાત્ર આવ્યું છે. વાર્તા  કલીમપોંગમાં આકાર લે છે અને બહુધા માત્ર ત્રણ પાત્રો આસપાસ ફરે છે. બાકીનાં બે પાત્રોમાં ઓટીટી પર સ્ટાર્સ ગણાતા જયદીપ અહલાવત અને વિજય વર્મા છે. ત્રણેયનું કામ સરસ. ફિલ્મની ગતિ ધીમી અને કથાનક પણ એક મર્ડર આસપાસ ફરતું. કરીના માટે આ ફિલ્મ પરફેક્ટ ઓટીટી લાન્ચપેડ છે.

કરણ જોહરના પીઠબળ સાથે એક ફિલ્મ બની રહી છે, ‘અય વતન મેરે વતન’. એનું શૂટિંગ પતી ગયું છે. સારા અલી ખાન સાથે એમાં એલેક્સ ઓનેલ અને અભય વર્મા છે. ડિરેક્ટર કન્નન ઐયર છે. ફિલ્મની રિલીઝ આમ તો ઓગસ્ટ મહિનામાં નક્કી હતી. પછી ફિલ્મ પાછી ઠેલાઈ. સારા અલી ખાન બોલિવુડમાં આવી એને હજી માંડ પાંચેક વરસ થયાં. બધું મળીને એની દસેક ફિલ્મો આવી છે, જેમાંની ‘અતરંગી રે’ અને પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ સૌથી નોંધપાત્ર હતી. સારાની કરીઅર ધીમી ગતિએ આગળ વધી રહી હોવા છતાં સ્ટાર્સની દીકરીના નાતે એનું ભવિષ્ય ઉજળું છે. ઓટીટી પરની પોતાની ફિલ્મમાં એના માટે બોક્સ ઓફિસના પ્રેશર વિના પોતાની ક્ષમતા સિદ્ધ કરવાનો સરસ મોકો છે.

આ વરસે ઓટીટી પર જેઓ ઓલરેડી આવી ચૂક્યા છે એ સિતારાઓમાં શાહિદ કપૂર, સોનાક્ષી સિંહા, આદિત્ય રોય કપૂર, વિજય સેતુપતિ, અનિલ કપૂર અને વેંકટેશનો સમાવેશ થાય છે. શાહિદ અને વિજય સેતુપતિ ‘ફર્ઝી’ સાથે, સોનાક્ષી ‘દહાડ’ સાથે, આદિત્ય અને અનિલ ‘ધ નાઇટ મેનેજર’ સાથે અને વેંકટેશ ‘રાના નાયડુ’ સાથે ઓટીટી પર આવ્યાં છે. આમાંથી એક ‘દહાડ’ પ્રમાણમાં વોચેબલ શો હતો, બાકીના એવરેજ હતા. ભુવન બામ આમ તો યુટયુબર, પણ હવે એ પણ વેબ શોમાં આવી ચૂક્યો છે. એના શો ‘તાઝા ખબર’નો વિષય નોખો હતો પણ શો સાધારણ હતો.

કાજોલ, મનોજ બાજપાયી, વરુણ ધવન, માધુરી દીક્ષિત સહિતનાં સિતારા એવાં છે જેઓ એક કરતાં વધુ વખત ઓટીટીનાં પાણી ખેડી ચૂક્યાં છે. એમાંથી મનોજ તો આ પ્લેટફોર્મ પર હવે સખત મોટું નામ ગણાય છે. પંકજ ત્રિપાઠી, જયદીપ અહલાવત જેવા સ્ટાર્સને જે સફળતા મોટા પડદે મળી નહોતી એ ઓટીટી પર નસીબ થઈ છે. સામંતા રુથ પ્રભુ સાઉથની સ્ટારથી નેશનલ સ્ટાર ઓટીટીથી બની છે. યામી ગૌતમે ઓટીટી પર એક પછી એક સફળ ફિલ્મો થકી આ દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું અને સુદ્રઢ કર્યું છે.

ઓટીટીની ફિલ્મોમાં મોટા પડદાની ફિલ્મોથી જે સૌથી અલગ વાત હોય છે એ મેકિંગની રીત છે. મોટા પડદા માટે બનતી ફિલ્મોમાં વાર્તા સડસડાટ આગળ વધે એવો મેકર્સનો આગ્રહ હોય છે. ઓટીટીમાં એ મેકર્સ ડિટેઇલિંગ સાથે વાર્તાને નોખી રીતે, જરૂર પડયે ધીમી ગતિએ રજૂ કરે છે. મોટા પડદાની ફિલ્મ બનાવવાના ખર્ચ સાથે એની રિલીઝ પાછળ થતો ખર્ચ પણ તોસ્તાન હોય છે. ઓટીટી પર બીજા ખર્ચની લગભગ બાદબાકી થઈ જાય છે અથવા એ પ્રમાણમાં ખૂબ ઓછો આવે છે. જે ખર્ચ આવે એની જવાબદારી પણ ઓટીટી પ્લેટફોર્મ પર હોય છે, નહીં કે નિર્માતા પર.

‘ગદર-ટુ’ અને ‘જવાન’ની સફળતા સાથે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને ‘સત્યપ્રેમ કી કથા’ના સારા બોક્સ ઓફિસ પરફોર્મન્સ પછી કહી શકાય કે મોટા પડદે આવતી ફિલ્મોમાં દર્શકોનો રસ પૂર્વવત્ થવા તરફ છે. તેમ છતાં, એટલું હવે નક્કી છે કે ટિકિટના (અને ખાણીપીણીના) મોટા ખર્ચ કરતા પહેલાં દર્શક વધુ વિચારતા થયા છે. એમને ઘેરબેઠા ભરપૂર મનોરંજન મળી રહે છે એટલે આ બદલાવ સ્વાભાવિક થયો છે. સાથે, થિયેટરમાં ફિલ્મ જોવા માટે સમય અલગથી ફાળવવો પડે. ઓટીટી પર જોવા માટે નવરાશ મળે કે રિમોટ હાથમાં લઈ શકાય. એટલે, જ્યારે અને જે ફિલ્મ બધી રીતે મોટા પડદા માટે એકદમ બંધબેસતી હશે ત્યારે એની સફળતાની શક્યતા ઉજળી રહેશે. બાકીની ફિલ્મોનાં પાણી બરાબરનાં મપાતાં રહેવાનાં છે.

આ ભયને લીધે જ મોટા સિતારાઓ પણ નાના પડદાને હવે ગંભીરતાથી લઈ રહ્યા છે. એ ઘટના કોઈ નહીં ભૂલે કે અમિતાભ બચ્ચન જેવા મેગા સ્ટારને એમના સૌથી ખરાબ દોરમાં પુનરાગમન કરાવવામાં ‘કૌન બનેગા કરોડપતિ?’એ મહત્ત્વનું કામ કર્યું હતું. ત્યારે ઓટીટીનો વિકલ્પ નહોતો. આજે છે. ટેલિવિઝન કરતાં એ વધુ સુરક્ષિત અને ઉપયુક્ત ગણાવા માંડયો છે. મુદ્દે, પડદાની સાઇઝ કરતાં સર્જનની એન્ટરટેઇનિંગ માઇટ એટલે તાકાત સાથે ટકી રહેવાના મહત્તમ વિકલ્પો વિશે સ્માર્ટલી વિચારતા દરેક બોલિવુડ સ્ટારે આજે અથવા આવતીકાલે ઓટીટી પર આવવાનું જ છે. તમારો ફેવરિટ સ્ટાર પણ આવશે, ડોન્ટ વરી.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.29 સપ્ટેમ્બર, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/29-09-2023/6

 

 

 

Share: