નાના પાટેકર ના હોત તો ‘સંકલ્પ’ જેટલી સહ્ય અને જોવાયોગ્ય છે એની અડધી પણ ના થઈ હોત. ક્યાંક એ ઠરાવવું અઘરું થઈ જાય છે કે સિરીઝ જોવાની મજા આવી રહી છે કે કંટાળો આવી રહ્યો છે
સંજય વિ. શાહ
પ્રકાશ ઝાની ‘આશ્રમ’ અને ‘સંકલ્પ’ વચ્ચે શી સામ્યતા છે? વિષયનું નાવીન્ય અને દેશી દર્શકને ગમી જાય એવી રજૂઆત. આ બેઉ સિરીઝ વચ્ચે ફરક શો છે? બોબી દેઓલવાળી સિરીઝ દમદાર લેખન અને ગુણવત્તાસભર પ્રવાહથી પ્રભાવિત કરી ગઈ હતી. નાના પાટેકરવાળી સિરીઝ એવા લેખનના અભાવે પોતાના બોજતળે છ-સાડાછ કલાકના રોકાણનું અપેક્ષિત વળતર આપવામાં મોળી પડે છે.
બિહારના પટણા શહેરમાં મોડર્ન ચાણક્ય નામે કન્હૈયા લાલ ઉર્ફે મા’ટ સા’બ (નાના પાટેકર) ગુરુકુળ ચલાવે છે. ગુરુકુળ શું, વાસ્તવમાં એ એવી એક ફેક્ટરી છે જ્યાં વિદ્યાર્થીઓને નાની વયે ‘ખરીદી’ લાવવામાં આવે છે, ઘડવામાં આવે છે અને સુનિશ્ચિત કરવામાં આવે છે કે એક દિવસ વિદ્યાર્થી મા’ટ સા’બ સ્પોન્સર્ડ, સત્તાનાં સમીકર
ણો ઉથલપાથલ કરી નાખતી શતરંજની રમતમાં મહત્ત્વનું પ્યાદું બનશે. મા’ટ સા’બનો પોતાનો રાજકીય ભૂતકાળ છે. તેઓ અંદરથી ઘવાયેલા છે અને ચાહે છે કે સત્તા એ પ્રમાણે જ ચાલે જે પ્રમાણે તેઓ ઇચ્છે.
એમની હજી એક શૈક્ષણિક સંસ્થા નામે ચાણક્ય કોચિંગ ક્લાસેસ દિલ્હીમાં છે. એમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ પદો માટે કસદાર રીતે ઘ
ડવામાં આવે છે. દિલ્હીમાં જનશક્તિ મોર્ચાની સરકાર છે. મુખ્ય પ્રધાન પ્રશાંત સિંઘ (સંજય કપૂર) અને એમનું દોરીસંચાલન કરતો વકાર (નીરજ કાબી) છે. વકાર અને મા’ટ સા’બનો ભૂતકાળ પરસ્પર સંકળાયેલો છે…

image courtesy: Amazon mx player
પ્રાઇમ વિડિયોની ‘સંકલ્પ’ પ્રોમિસિંગ અને રિફ્રેશિંગ સેટઅપ ધરાવે છે. ઝાની 2010ની ફિલ્મ રાજનીતિમાં નાના પાટેકર, ભગવાન શ્રીકૃષ્ણની છાં
ટ સાથેના ચાણક્ય જેવા પાત્ર, બ્રિજ મોહન તરીકે છવાયા હતા. સિરીઝમાં એમનું પાત્ર એનાથી એક ડગલું આગળનું અને કેન્દ્રવર્તી છે. બેહદ બોલકા અને અપાર આત્મવિશ્વાસથી છલકતા (કે પીડિત) મા’ટ સા’બના પાત્રનું કામ છે દિલ્હી સકારના દાંત ખાટા કરવાનું. દેશમાં સત્તા ચલાવતા નેતાઓ અને એમનાં રિમોટ કન્ટ્રોલ, બેમાંથી કોણ વધુ મહત્ત્વનાં કે શક્તિશાળી, એની છણાવટ આ સિરીઝ છે. એ માટે ગુરુકુળ, વિદ્યાર્થીઓનો બેઝ લેવાયો એ નવી વાત છે.
તેજસ્વી વિદ્યાર્થીઓ મા’ટ સા’બના ઘડતરમાં આઈએસ, આઈપીએસ, આઈઆરએસ અધિકારીઓ તરીકે સત્તાના દરેક સ્તરે બિરાજે છે. એમના માટે જોકે પદ, સરકાર કે નિયમો આખરી શબ્દ નથી. એમના માટે આખરી શબ્દ એ જે મા’ટ સા’બ કહે. આ અધિકારીઓ બાહ્ય દ્રષ્ટિએ બ્યુરોક્રસીને વફાદારીથી અનુસરતા સરકારી નોકરો છે. અંદરખાને એમના રિયલ બોસ મા’ટ સા’બ છે. એમના સૌથી માનીતા વિદ્યાર્થીઓમાં એક આદિત્ય વર્મા (મહંમદ ઝીશાન અયુબ) છે. આઈપીએસ અધિકારી તરીકે એ શક્તિશાળી પ્યાદું છે પણ એની અને ગુરુ વચ્ચે પડતી અંટસમાં એ ‘પક્ષપલટો’ કરીને શત્રુપક્ષે, વકારની તરફ થઈ જાય છે. એમ શરૂ થાય છે એની અને ગુરુ વચ્ચે ગજગ્રાહ. ગુરુની અન્ય એક વિશ્વાસુ શિષ્યા ડીસીપી પરવીન શેખ (કુબ્રા સઇદ) સિદ્ધાંતવાદી અધિકારી છે. એ મા’ટ સા’બના ઇરાદા બર આવે એ માટે બધું કરી છૂટવા પ્રતિબદ્ધ છે.
‘સંકલ્પ’નાં અનેક પડ ઉત્કૃષ્ટ લેખન (રેશુ નાથ, પ્રસાદ કદમ, ચંદન કુમાર)થી વરખ જેવાં વટવાળાં અને મોંઘેરાં થઈ શક્યાં હોત. થાય છે જરા અલગ. છીછરી કલ્પનાશીલતા અને વારંવાર વહાવવામાં આવતા વાતોડિયાપણાથી સિરીઝ પોતાની માયાજાળમાં સતત અટવાતી રહે છે. વાત જરાક જામે ત્યાં ઠેબું ખાઈને, મોં વકાસીને એ જાણે ઊભી રહી જાય છે અને પૂછે છે, “જાયે તો જાયે કહાં?” નિષ્ઠુર રાજકારણને છાજે એમ પાત્રોની વફાદારી વારંવાર અહીંથી તહીં ફંગોળાતી રહે છે. અસરકારક ઘટનાઓથી એને જકડી રાખતી તાકાતમાં પરિવર્તિત કરી શકાત પણ એવું થતું નથી. એની બદલે સંવાદથી કે સાધારણ ઘટનાથી ભીનું સંકેલવાનો અને કથાને કશેક ફંગોળીને તાતત્પૂરતું સમાધાન શોધવાનો પ્રયત્ન થયા કરે છે. આ મુદ્દો વારંવાર સિરીઝની વિરુદ્ધ જાય છે.
ખૂબ બધાં પાત્રો છે. અમુક વ્યવસ્થિત આકાર મેળવી શક્યાં છે. દિલ્હી સીએમ સિંઘ તરીકે સંજય કપૂરના ફાળે નિરાશાવાદી દ્રષ્ટિકોણ રાખતા અને વકારના ખીલે નાચતા સત્તાધીશનું પાત્ર આવ્યું છે. એમાં ક્યાંય કશું વખાણવાલાયક નથી. એનાથી બહેતર પાત્ર નીરજ કાબીનું છે કેમ કે એમાં શેડ્સ છે, અભિનયનો સ્કૉપ છે. કાબી એનો પૂરતો ફાયદો ઉઠાવીને પાટેકર પછીની સિરીઝની સૌથી દમદાર કડી બને છે. મા’ટ સા’બના પડછાયા જેવી સુહાસિની તરીકે મેઘના મલિક છે. એ પણ પૂરક પાત્ર છે. અમુક એપિસોડ્સમાં ઝળકતા કસ્તૂરીના પાત્રમાં ક્રાંતિ પ્રકાશ ઝા, સત્યવીર મિશ્રા તરીકે તુષાર પાંડે ખાસ પ્રભાવ છોડતા નથી.
આવી લાંબી સિરીઝ સડસડાટ કે કટકેકટકે જોવા માટે જોઈતું કારણ અસરકારકતા સિવાય શું હોય? ઝાએ આ પહેલાં રાજકારણ, પોલીસ વિભાગ વગેરેને પેશ કરતી સુંદર ફિલ્મો આપી છે. ‘ગંગાજલ’ એમાંની એક. ’આરક્ષણ,’ ‘ચક્રવ્યૂહ’ અને ઇવન ‘આશ્રમ’માં રાજકારણ હતું. એટલે, ઝાને આવા વિષયની ઊંડી સમજણ છે. એમાં બેમત હોઈ શકે નહીં. વળી આ સિરીઝ એવી વાત લાવી છે જે આ પહેલાં, આ રીતે કોઈએ દર્શકો સમક્ષ મૂકી નથી. છતાં, ધાર્યું પરિણામ એટલે આવ્યું નથી કેમ કે સિરીઝ વધુ પડતી બોલકી છે. એ મા’ટ સા’બ પર ભયંકર દારોમદાર રાખીને એના બોજતળે ચગદાઈ જાય છે. જો નાના પાટેકર ના હોત તો ‘સંકલ્પ’ જેટલી સહ્ય અને જોવાયોગ્ય છે એની અડધી પણ ના થઈ હોત. સત્તાધીશ વર્સીસ રિમોટ કન્ટ્રોલ, નેતા વિરુદ્ધ અધિકારીની લડાઈમાં કશેય નીતિની, પ્રામાણિકતાની ખાસ વાત નથી. કદાચ સંદેશ એવો છે કે સત્તાના અખાડા માટે કહી શકાય કે ઇસ હમામ મેં…
ચાણક્યની ચતુરાઈ અને નેતાઓની ખંધાઈનો મેળ પાડવામાં ‘સંકલ્પ’ કંઈક અંશે કારગત રહે છે. એમ કરવામાં એ ભરપૂર બેકગ્રાઉન્ડ મ્યુઝિક પીરસે છે. એ ક્યાંક અસરકારક છે અને અન્યથા એવરેજ. દ્રશ્યોને સારી રીતે રજૂ કરવામાં ચંદન કોવલીની સિનેમેટોગ્રાફી સહાય કરે છે. એડિટિંગ અને ઇફેક્ટ્સ બહુ સ્તુત્ય નથી. સારી, આશાસ્પદ શરૂઆત પછી વચ્ચેના મોટાભાગના એપિસોડ્સમાં ઝોલાં ખાતી સિરીઝ જોનારના ધૈર્યની પરીક્ષા લેતી રહે છે. ઘણા ટ્વિસ્ટ અધકચરા છે. અમુક પાત્રો કશું સિદ્ધ કર્યા વિના હવામાં ઓગળી જાય છે.
બધી મુશ્કેલીઓનું નિવારણ બેએક જગ્યાએ હતું. એક લેખન અને બીજું, એડિટિંગ. કાંઈ નહીં તો સિરીઝની લંબાઈને એટલી ઓછી કરી જ શકાઈ હોત જેનાથી નકામી બાબતો બહાર થઈ જાય અને સારી બાબતો સજ્જડપણે સામે આવી જાય. ‘સંકલ્પ’ની ફેવરમાં જતો મુદ્દો હોય તો ઝાની દેશી ઢબની કૃતિ સર્જવાની, વાસ્તવિકતા આસપાસ ઝળુંબાયા કરતી અદા અને શક્તિ. ઓટીટી પર આવ્યે રાખતી અને પોતાને ડિફરન્ટ કરાર આપવા છટપટિયાં કરતી અનેક સિરીઝ કરતાં ‘સંકલ્પ’ વધુ સંનિષ્ઠ છે. તેથી, ક્યાંક એ ઠરાવવું અઘરું થઈ જાય છે કે સિરીઝ જોવાની મજા આવી રહી છે કે કંટાળો આવી રહ્યો છે. તમે પણ જોઈને નક્કી કરી શકો છો કે…





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment