Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Travel

દુબઈ સફરઃ ભાગ ચારઃ ડ્યુન બેશિંગ, ક્વૉડ બાઇકિંગ અને ડેઝર્ટ સફારી

November 7, 2022 by egujarati No Comments

ક્વૉડ બાઇક

રણમાં માટીના ઢૂવા તો હોય જ. યુએઈની એંસી ટકા જમીન રણપ્રદેશ છે. એંસી ટકા ફળદ્રુપ જમીન ધરાવતા અનેક દેશો કરતાં એણે પ્રશંસનીય પ્રગતિ સાધી છે. યુએઈમાં રણપ્રદેશનો વિશિષ્ટ અનુભવ માણવા ડેઝર્ટ સફારી, ડ્યુન બેશિંગ એટલે રેતીના ઢૂવા પર વાહનમાં પ્રવાસ કરવો અને ક્વૉડ બાઇક એટલે મોટ્ટા ટાયરવાળા વાહનને રેતી પર ચલાવવાનો અનુભવ કરવો.

દુબઈપ્રવાસમાં એક દિવસ સફારીનો હતો. શરૂઆત બપોરથી હતી. સવારે ગયા દુબઈ ફેસ્ટિવલ સિટી મૉલ. આ અને આવા બીજા મૉલમાં આંટો મારતા ટાંટિયાની કઢી થઈ શકે છે. સોળ લાખ ચોરસ ફૂટથી મોટા આ મૉલમાં આઇકિયાનો સ્ટોર પણ હતો. જાતજાતની ચીજો જોઈ. ખરીદીનો પ્રશ્ન નહોતો કેમ કે મુંબઈમાં ક્યાં આઇકિયા નથી? અમુક ચીજો એવી હતી જે કદાચ આપણા આઇકિયામાં ના હોય છતાં, ફ્લાઇટમાં પાછા ફરતા જેટલો સામાન ઓછો એટલી શાંતિ એ મારી જડ માન્યતા છે. વળી શૉપિંગનો સમય હજી આવ્યો નહોતો.
આઇકિયા સામે કેરફોરનો સ્ટોર હતો. આ ફ્રેન્ચ કંપની ભારતમાં આવીને જતી રહી છે. આપણા બિગ બાઝાર (હવે સ્માર્ટ બાઝાર), ડીમાર્ટ વગેરેને ટક્કર આપે એવી સાઇઝ અને ચીજોની વરાઇટી ધરાવતા કેરફોર જેવા બીજા મેગા સ્ટોર્સ પણ છે. અનાજ, કરિયાણાં સહિતની તમામ ખરીદી માટે ત્યાં મેગા સ્ટોર્સ જ મુખ્ય છે. શેરીએ શેરીએ કે રસ્તે રસ્તે હારબંધ દુકાનો નથી. ઘર નજીકની દુકાનો પણ મોટા સ્ટોર હોય. કેરફોરમાં જઈને અમે પરચૂરણ શૉપિંગ કરતાં સમય વિતાવ્યો.
શૉપિંગની વાત વખતે કેરફોર, ડે ટુ ડે, ગિફ્ટ્સ વિલેજ જેવા સ્ટોર્સની વાત કરશું.
ડેઝર્ટ સફારીના એડવાન્સ બુકિંગમાં વિવિધ પેકેજિસ મળે છે. એમાં સામાન્યપણે સામેલ બાબતો છેઃ ઘર કે હોટેલથી પિકઅપ અને ડ્રોપ, ડ્યુન બેશિંગ, ઊંટસવારી (તસવીર ખેંચાવી શકાય એટલા પૂરતી), આરબ વસ્ત્રોમાં ફોટો, મેંદી, સાંજ પછી મ્યુઝિકલ શૉ સાથે ડિનર. પ્રવાસમાં પાણીની બોટલ્સ પણ મળે. સફારી ક્વૉડ બાઇક સહિત કે વગર બુક કરી શકાય. વગર ક્વૉડ બાઇક બુકિંગ કરો તો પહોંચીને બાઇક ભાડે લઈ શકાય. જેવી તમારી ચોઇસ. શહેર પૂરું થાય ત્યાં જુદા જુદા સ્થળે વિવિધ કંપનીઓ સંચાલિત સફારી કેમ્પ્સ છે.
Continue reading
Share:
Reading time: 1 min
Travel

વારાણસી ડાયરી – ભાગ 03 

November 4, 2022 by egujarati No Comments

“છોટા એક રૂપૈયા યહાં કોઈ નહીં લેગા.”

“ક્યૂં નહીં ચલેગા?”

“કારન તો હમ કો ભી પતા નહીં, લેકિન પૂરે વારાણસી મેં કિસીકો ભી યે સિક્કા દેંગે તો નહીં લેગા. આપકે મુંબઈ મેં વો ચલેગા.”

વારાણસીમાં ત્રીજા દિવસની આ પહેલી પહેલી હતી. એક રૂપિયાનો નાનો સિક્કો અહીં ચાલતો નથી. 

હોટેલથી નીકળીને નવદુર્ગા મંદિરે દર્શન કર્યાં પછી પહેલી ચા પીવા ઊભા રહ્યા, ત્યાં આ આવિષ્કાર થયો. દેશમાં ક્યાંક ફાટેલી નોટ ચાલે (ગુજરાતે આવી નોટો મોજથી પ્લાસ્ટિકમાં પૂરીપૂરીને વરસો ચલાવી) તો ક્યાંક ના ચાલે પાંચ રૂપિયા સુઘીની નોટ. એક રૂપિયાના નાના સિક્કાનું વારાણસીવાળું નવું આવ્યું. 

ગઈકાલનો રિક્શાવાળો બાબુ આજે પણ સાથી અને સારથિ હતો. નવદુર્ગા મંદિર અને દુર્ગાકુંડ મંદિર બેઉ એક જ સ્થાનક છે. ભેલુપુર વિસ્તારમાં સ્થિત આ મંદિર વ્યસ્ત માહોલ વચ્ચે પાવનતા અનુભવાય છે. સંલગ્ન સરોવર છે. ચોતરફ પાકી દીવાલો અને જાળી સાથેના સરોવરનું પાણી પણ ચોખ્ખું. 

નવદુર્ગા મંદિર

મૂળ બંગાળના નાતોરની રાણી ભવાનીએ મંદિરનું નિર્માણ અઢારમી સદીમાં કરાવ્યું હતું. દુર્ગાકુંડનો ઇતિહાસ કાશીનરેશ સુબાહુ સાથે સંકળાયેલો છે. મંદિર બહારની તકતી મુજબ સુબાહુને શશીકલા નામે દીકરી હતી. એના સ્વયંવરની તૈયારી વચ્ચે રાજકુમારીએ વનવાસી રાજકુમાર સુદર્શન સાથે વિવાહ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. રાજાએ વિવાહ કરાવી દીધાં. એનાથી ગિન્નાયેલા અન્ય રાજાઓએ સુદર્શન સાથે યુદ્ધ છેડવા ચાહ્યું. ત્યારે સુદર્શને માતાનું ધ્યાન ધર્યું. માતાએ શત્રુઓથી રક્ષા કરીને તેને વિજય અપાવ્યો. સુદર્શને માતા પાસે વરદાન માગ્યું કે તમે કાશીપુરીમાં રહીને સદૈવ રક્ષા કરો. અહીં માતા જગદંબા દુર્ગારૂપે બિરાજ્યાં.  

મંદિર સંલગ્ન સરોવર એક જમાનામાં ગંગા નદી સાથે જોડાયેલું હતું. આજે નથી. મંદિરમાંની માતાજીની મૂર્તિ સ્વયંભૂ હોવાની માન્યતા છે. પરિસર નાનો છે. પ્રાચીનતા અને રચના મોહક છે. ગર્ભગૃહ આસપાસ પૂજાપાઠ કરવા માટે બેઠક છે. અમુક વિદેશીઓ પણ સાધનામાં વ્યક્ત હતા. પરિસરમાં રાધાકૃષ્ણનું નાનકડું મંદિર હતું. દર્શન કરીને બહાર નીકળ્યા ત્યારે થયું, “કાશીમાં એવી કઈ જગ્યા, શેરી, રસ્તો હશે જ્યાં મંદિર નહીં હોય?”

પછીનો મુકામ કાશી વિશ્વનાથ મંદિર હતો. કાશી વિશ્વનાથનાં બે મંદિર છે, એક પ્રાચીન અને બીજું નવું. પ્રાચીન મંદિરે લગભગ બે વાગ્યે પહોંચવાના હતા. બાબુ કહે, “ત્યારે મંદિર બંધ હશે.” એને ખ્યાલ નહોતો કે અમારા પર વિશ્વનાથ મહાદેવની થોડી વધારે કૃપા છે. મંદિરના કર્મચારીગણમાં મિત્ર શૈલેષ ત્રિપાઠી છે. ગઈ રાતે શૈલેષ સાથે વાત થઈ ચૂકી હતી. એણે જણાવ્યું હતું કે બપોરે આવશો તો નિરાંતે દર્શન કરાવીશ. અમારી રિક્શા પીડીઆર મૉલ સુધી ગઈ. આગળ ત્રણ પૈડાંવાળી પરંપરાગત રિક્શાને નો એન્ટ્રી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તારના સંસદસભ્ય તરીકે, કાશી વિશ્વનાથ પરિસરમાં કરાવેલા ફેરફારો પછી નિયમ અમલમાં આવ્યો છે. એકાદ કિલોમીટરનું અંતર પગપાળા કાપવાનું હતું. મજા પડી ગઈ. નવા શહેરમાં ચાવનું એટલે અનુભવવું. દુકાનો, વાહનો, વટેમાર્ગુઓ, જાતજાતની ચહલપહલ વચ્ચે નિરીક્ષણ અને આનંદના સમન્વય સાથે મંદિરના ચાર નંબર ગેટ પહોંચ્યા. શૈલેષ ત્યાં મળવાનો હતો. ગેટ પર મોબાઇલ સહિત ઇયરફોન સુધ્ધાં લૉકરમાં જમા કરાવવાનાં હતાં. જડબેસલાક સુરક્ષાના ઉપલક્ષમાં આ ગોઠવણ છે. 

 

Continue reading
Share:
Reading time: 1 min
Travel

દુબઈ સફરઃ ભાગ ત્રણઃ માર્ગ વ્યવસ્થાપન

November 4, 2022 by egujarati No Comments
આજે વાત કરીએ દુબઈના રસ્તા, વટેમાર્ગુ, ટેક્સીની
ભારતમાં આપણે આડેધડ વાહનો ચલાવવામાં અને મનફાવે તેમ રસ્તા ઓળંગવામાં ગોલ્ડ મેડલિસ્ટ છીએ. વાંક આપણી પછાત વિચારધારાનો અને નહીં સુધરવાના પ્રણનો છે. વસતિનો વાંક કાઢવો યોગ્ય નથી. વસતિ ચીનમાં પણ છે. ત્યાં માર્ગ અને વાહન સંબંધે શિસ્ત છે. શ્રીલંકા આપણાથી પછાત છતાં ત્યાંની માર્ગશિસ્ત આપણને શરમાવે એવી છે. ઉઝબેકિસ્તાન એક રીતે નગણ્ય દેશ છતાં ત્યાં પણ શિસ્ત છે. મને આ દેશોમાં માર્ગશિસ્તનો જાતઅનુભવ છે. બીજા દેશો પણ મેં જોયા છે અને બહુધા એ સૌ આપણાથી સારા છે.
આપણે ઘણી બાબતે નહીં સુધરનારી પ્રજા છીએ. વડા પ્રધાન મોદીએ પહેલીવાર રાષ્ટ્રધુરા સંભાળતા સ્વચ્છ ભારતની હાકલ કરી હતી. એની કંઈક અંશે અસર થઈ પણ, આ કેવું રાષ્ટ્ર જ્યાં સ્વચ્છતા માટે સર્વોચ્ચ પદે બિરાજમાને વિનંતીગંગા વહાવવી પડે? પછી પણ એવી સ્વચ્છતા નથી જ જેના માટે પોરસાઈ શકાય. વાંક સત્તાધીશોનો પણ છે. એક્સપ્રેસવે છતાં દેશમાં એક-બે કિલોમીટર બિલકુલ ખાડા વિનાનો માર્ગ જડતો નથી. મોટાભાગના એક્સપ્રેસવે પ્રદીર્ઘ ટકે એવા નથી. સામાન્ય માર્ગો તો સાવ ક્ષુલ્લક. મુંબઈમાં એટલા વાહિયાત રસ્તા છે કે વાહન અને વટેમાર્ગુ બેઉ સતત ભયના ઓથારતળે રહે. દેશમાં રસ્તાની આવી દયનીય સ્થિતિ હોય ત્યાંથી વિદેશના ચકાચક, શિસ્તબદ્ધ રસ્તા જોતા એની સરાહના થઈ જાય.
યુએઈમાં પહેલો પગ મૂક્યો હતો મધરાત પછી. એ પણ ઓછી વિકસિત અને ઓછી જાણીતી એમિરેટ રાસ અલ ખૈમામાં. મુખ્ય મુકામ દુબઈ હતો. રાસ અલ ખૈમાથી દુબઈ બાય રોડ ઉમ અલ ક્વૈન, અજમન અને શારજાહ એમ ત્રણ એમિરેટ્સ વટાવી હતી. પહેલી રાતે ખ્યાલ આવી ગયો કે આ દેશ માર્ગના મામલે અવ્વલ છે. અબુધાબીથી રાસ એલ ખૈમા વચ્ચે ઈ-311 એટલે શેખ મહમ્મદ બિન ઝાયેદ માર્ગ પથરાયેલો છે. દેશનો એ સૌથી લાંબો મહામાર્ગ મીનમેખ વિનાનો છે.
એમ નહીં સમજતા કે આવા રસ્તા બનાવતા એ દેશને દાયકાઓ લાગ્યા હશે. 1980ના દાયકા સુધી યુએઈમાં રસ્તા બિસમાર હતા. 1980ના દાયકા સુધી દુબઈથી અબુધાબી પહોંચતા ચાર કલાકથી વધુ સમય લાગતો હતો. ત્યારે રસ્તે લક્ઝરી કાર ઓછી અને ટ્રક તથા ઊંટ વધારે હતાં. ત્યારે રેતીને કિનારે વાહન હંકાતાં. પવન ફૂંકાતા વાહન ફસાયું તો કલ્યાણ થઈ જતું. આજે અબુધાબીથી દુબઈ પહોંચતા કલાક-દોઢ કલાક થાય છે. ત્યાં ખરા અર્થમાં 1990ના દાયકાથી માર્ગોની કાયાપલટ થવા માંડી અને એ પણ કેવી!
Continue reading
Share:
Reading time: 1 min
Travel

વારાણસી ડાયરી – ભાગ 02

November 3, 2022 by egujarati No Comments

તો નક્કી થઈ ગઈ રિક્શા, આખા દિવસના 800 રુપિયા. સૌપ્રથમ સારનાથ અને ત્યાંથી ઘાટ વિસ્તાર. માફકસરની ઠંડક હતી. શહેર જોવા મન થનગની રહ્યું હતું. હોટેલથી સારનાથનું અંતર લગભગ પોણો કલાકનું હતું. સારનાથને ભગવાન બુદ્ધથી  નજીકનો સંબંધ છે. જૈનોના અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ ભગવાન પણ સારનાથ નજીક જન્મ્યા હતા. આપણા અશોકસ્તંભનું પણ એ મૂળ સ્થળ છે. ગંગાઘાટ પહેલાં ત્યાં જવાનાં બે કારણ હતાં. એક તો અજવાળામાં એનો જોઈ શકાય અને સાંજે આરતી માટે ગંગાઘાટે પહોંચી શકાય. 

હોટેલથી સારનાથનો રસ્તો ફટાફટ કપાઈ ગયો. સારનાથમાં ભગવાન બુદ્ધે જ્ઞાનપ્રાપ્તિ પછી પોતાના શિષ્યોને સૌપ્રથમ વખત ઉપદેશ આપ્યો હતો. એ ઉપદેશ એટલે ધર્મચક્ર પ્રવર્તન. બૌદ્ધ ધર્મના પ્રચારનો વિધિવત્ પ્રારંભ સારનાથથી થયો હતો. ભગવાન શ્રી શ્રેયાંસનાથના મંદિર સામે અમારી રિક્શા ઊભી રહી. બાબુએ અમને ગાઇડ સૂરજ પટેલના હવાલે કરી દીધા. એના ઇશારે પહોંચી ગયા થાઈ બુદ્ધ વિહાર. આ સ્થળે થાઈલેન્ડના બૌદ્ધ અનુયાયીઓ રહે છે. ત્યાં 2011માં પ્રસ્થાપિત થયેલી ભગવાન બુદ્ધની 80 ફૂટ ઊંચી પ્રતિમા છે. ભારતમાં ભગવાન બુદ્ધની આ સૌથી ઊંચી પ્રતિમા છેે. એનો પરિસર વિશાળ અને લીલોછમ હતો. વારાણસીમાં દેશી-વિદેશી પર્યટકોની નિરંતર આવજા રહે છે. એમાંના થોડા અને દુનિયા આખીના બૌદ્ધ અનુયાયીઓ સારનાથ આવે છે.

અશોકસ્તંભ

દર્શન પછી અમે મૂલગંધકૂટી વિહાર ગયા. ગાઇડે કહ્યું, “અંદર ભગવાન બુદ્ધની જે પ્રતિમા છે એ સોનાની હોવાનું કહે છે. હકીકતમાં એ પથ્થરની છે. એના પર સોનાનો ઢોળ છે.” મૂર્તિ સોનાની કે પથ્થરની હોવાથી શ્રદ્ધા ઓછી ના થાય. પ્રવેશદ્વાર નજીક તાંબાનો વિશાળ ઘંટ હતો. આપણાં મંદિરોના ઘંટથી જુદો, બૌદ્ધ શૈલીનો હતો. જાપાનના શાહી પરિવારે એ ભેટ આપ્યો છે. વિહારમાં પ્રવેશ કરતાં પૂર્વે નજર એક બૉર્ડ પર પડીઃ શોરબકોર ના કરશો. ફોટોગ્રાફી કરો તો વીસ રૂપિયા અને વિડિયોગ્રાફી કરો તો સો રૂપિયા ભેટ ચઢાવશો. ઠીક, બેઉ કરશું અને 120 રૂપિયા પ્રેમથી આપીશું…

વિહારનું નિર્માણ આઠમી સદીમાં થયું હોવાનું કહેવાય છે. ચીની પ્રવાસી હ્યુ એન સંગનાં લખાણોમાં એનો ઉલ્લેખ છે. વિશાળ ઓરડા જેવા વિહારમાં બે બાબતોએ ધ્યાન ખેંચ્યું. ભગવાન બુદ્ધની પ્રતિમા અને ભીંતચિત્રો. આ ભીંતચિત્રો જાપાનીઝ ચિત્રકાર કોસેત્સુ નોસુએ બનાવ્યાં હતાં. ખાસિયત એ હતી કે ત્રણ ભીંત પર એ ચિત્ર અસ્ખલિત દોરેલું હતું. જાપાનીઝ ચિત્રકળાશૈલીમાં ભલે ટપ ના પડે છતાં ચિત્ર સંમોહિત કરનારું હતું.

બૌદ્ધ મંદિરમાં આવેલો વિશાળ ઘંટ

પરિસરમાં જ બોધિવૃક્ષ હતું. શ્રીલંકાથી લાવવામાં આવેલા વૃક્ષના પ્રતિરોપણથી એ વિકસ્યું છે. આ વૃક્ષતળે ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી. પરિસરમાં ડાબી તરફ અસંખ્ય દીવડા હતા. દિવસના અજવાળામાં પણ ગજબ લાગી રહ્યા હતા. બોધિવૃક્ષ નજીક પૂર્ણ કદની પ્રતિમાઓ હતી. ભગવાન બુદ્ધ એમના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હોય એવાં દ્રશ્યો એમાં હતાં. વિહાર પછી દર્શન કર્યાં ભગવાન શ્રી શ્રેયાંસનાથના મંદિરે. એનો પરિસર પણ વિશાળ હતો. લીલોતરી, મોકળાશ અને નિરવતા સારનાથમાં બધે હતી.

બનારસી સિલ્ક સાડીઓના ઉત્પાદનમાં પ્રવૃત્ત સ્થાનિક સંસ્થાની દુકાને પણ ગયા. એમાં એક કારીગર સાડી બનાવી રહ્યો હતો. એને એટલે કદાચ ત્યાં બેસાડવામાં આવ્યો હશે કે મારા-તમારા જેવા જોઈ શકે કે આ સાડી કઈ રીતે બને છે. એક સાડી બનતા અઠવાડિયું લાગે છે. સૌથી સસ્તી સાડી 1,200 રૂપિયાની હતી.

સારનાથમાં છેલ્લું સ્થળ ચૌખંડી સ્તૂપ હતું. બાબુની વર્ઝન મુજબ સ્તૂપ મૂળે સીતામૈયાનું રસોડું હતું, જે ઉપેક્ષિત થયે છેવટે બૌદ્ધો હસ્તક ગયું. ચૌખંડી સ્તૂપની પ્રવેશ ફી પચીસ રૂપિયા હતી. જાળવણી કરેલા બગીચા વચ્ચેના સ્તૂપ નજીક જવાની પરવાનગી નથી. પાછળના ભાગમાં નાનકડી ટેકરી ચઢીને ઉપર જઈ શકાય. ત્યાં થોડો સમય પસાર કરીને શરૂ થયો વારાણસીનો વળતો પ્રવાસ.

થોડીઘણી ભૂખ હોવા છતાં વગર પેટપૂજાએ ગાડું ગબડાવવાનું ઠરાવ્યું. સવારે હોટેલમાં સરખો નાસ્તો કર્યો. સારનાથ અને ગંગાઘાટની વચ્ચે અમારી હોટેલ હતી. અમે ઘાટ પહોંચ્યા ત્યારે સાડાપાંચ થયા. બાબુ અમને એ સ્થળે મૂકી ગયો જ્યાંથી ગંગાઆરતી માણવા હોડી મળતી હતી. અમુક ચિતાઓ બળી રહી હતી. ગંગાઘાટે મોક્ષપ્રાપ્તિ માટે અંતિમ સંસ્કાર સામાન્ય છે. અમુક સ્ત્રીઓ દ્રોણમાં ફૂલ-દીવડા વેચી રહી હતી. ગંગામાં દીવડા સાથેના દ્રોણ વહાવવાની પ્રથા છે. અમે પણ લીધા. જય ગંગામૈયા.

હોડીસવારી માટે એક જણના કેટલા રૂપિયા આપવાના? કોઈકે કહ્યું પચાસ, તો કોઈકે બસો. હોડીવાળાએ સીધી સાડાત્રણસોની માગણી કરી. છેવટે માથાદીઠ બસોમાં સોદો થયો. છ વાગ્યે હોડીએ પ્રયાણ કર્યું. ગણતરીની મિનિટોમાં અમે દશાશ્વમેધ ઘાટ હતા. ઇચ્છા થઈ કે હોડીઓ ઠેકતાં, કિનારે ઊતરીને આરતી માણીએ પણ હોડીવાળો કહે, “આરતી પછી હોડીઓ ઠેકીને પાછા નહીં આવી શકો.” મનમાં થયું કે બાબુએ સીધા દશાશ્વમેધ ઘાટ ઉતાર્યા હોત તો સારું થાત.

ગંગાઆરતી અવિસ્મરણીય અનુભવ છે. હોડીમાં હોવા છતાં દૂર ચાલી રહેલી આરતીથી રોમાંચ અનુભવાઈ રહ્યો હતો. ઉત્કૃષ્ટ ઓર્કેસ્ટ્રાની જેમ પાંચેક પૂજારીઓ લયબદ્ધ આરતી કરી રહ્યા હતા. લાઉડસ્પીકરથી આરતીના શબ્દો વહી રહ્યા હતા. સાંજનું સંમોહિત કરી દેનારું અંધારું હતું. હૈયામાં નાદ હતો, જય ગંગામૈયા…

સમય ક્યાં પસાર થયો એની ખબર ના પડી. ખલેલ ત્યારે પડી જ્યારે હોડી ચલાયમાન થઈ. આરતી પછી હોડીમાં હરીશચંદ્ર ઘાટ ગયા. ત્યાં રાત-દિવસ ચિતા બળતી હોય છે. ઇલેક્ટ્રિક ચિતાની વ્યવસ્થા છતાં લોકો મૃતકને લાકડાંની ચિતામાં વિદાય આપવું યોગ્ય ગણે છે. દસ-બાર ચિતાઓ બળી રહી હતી. નાવિકે કહ્યું, “સવારે આવો કે મધરાતના, આ કાયમનું છે.” હવામાં માંસના બળવાની જે વાસ હતી એ પણ એવું જ સૂચવી રહી હતી. સુરતનું જમણ ને કાશીનું મરણ…

Continue reading
Share:
Reading time: 1 min
Travel

વારાણસી ડાયરી – ભાગ 01

November 3, 2022 by egujarati No Comments

વારાણસી રેલવે સ્ટેશન બહાર પડતાંની સાથે ચાની કીટલી દેખાઈ. ભાઈ ભાઈ!  “તીન કટિંગ દેના,.” પેલાએ ચા આપી, પીધી કે અંગેઅંગમાં સ્ફૂર્તિનો ચમકારો થયો. દસ-બાર દિવસ દિલ્હીમાં જે ચા પીધી હતી એની વાત કરવા જેવી નથી. વારાણસીની આ પહેલી મુલાકાતમાં ખબર નહોતી કે દિલ્હીવાળી થશે કે ગુજરાતી ચા-બાજ મોંની લાજ રહી જશે. લાજ બિલકુલ રહી. ટેસડો પડી ગયો, ટેસડો.

આનંદ વિહારથી શરૂ થનારી ટ્રેન નામ પ્રમાણે સમયસૂચકતામાં ગરીબ હતી. “યે હમેશા લેટ ચલતી હૈ,” જાણતલ પ્રવાસીઓએ શરૂઆતમાં જ ટ્રેનની ખ્યાતિથી વાકેફ કરી દીધા. પહેલું સ્ટૉપ હતું મોરાદાબાદ. આખા પ્લેટફોર્મ પર ખાવાની કોઈ ચીજ ના મળે. એક પડીકાછાપ સ્ટૉલ અને એક રેંકડી જેમાં પુરી અને છોલે મળતાં હતાં. જનતા ખાના, યુ સી. જનતાએ નાછુટકે ખાધું, ભલે પેટનું કલ્યાણ થાય. સાથે ટ્રેનની કેટરિંગ સેવામાં મળતી બિરયાનીમાં પણ બિસમિલ્લાહ કર્યું. ટૂંકમાં, કડકડતી ઠંડીમાં પાછલા દિવસથી લઈને 14 જાન્યુઆરીની સવારે સાડાઅગિયાર સુધી, પેટની વેઠ ઊતરી. એને ટાઢક (ખરેખર તો ગરમી) છેક વારાણસીની ધરતી પર પગ મૂક્યા પછી વળી. 

એક આડ વાત. કોઈક ગુજરાતીએ દિલ્હી જઈને અમદાવાદી ચાની કીટલી કરવા જેવી છે. એવો તડાકો પડશે કે પેઢી તરી જશે. હશે. તો, વારાણસી… દુનિયાનું એવું શહેર જેના અસ્ખલિત અસ્તિત્વને અપરંપાર વરસો થઈ ગયાં. જેના મરણને આપણે ઈશ્વરકૃપાથી ઓછું નથી ગણતા. વારાણસીમાં, બનારસમાં, કાશીમાં પહેલીવાર જીવતેજીવત જવાનો આ પહેલો યોગ. સ્વાભાવિક છે મનમાં ઉત્કંઠા હોય. મોદીકાળમાં વારાણસીની ખાસ્સી કાયાપલટ થઈ છે એવું પણ સાંભળ્યું હોય, ત્યારે કુતૂહલ પણ હોય કે જોઈએ તો ખરા કે કેવુંક ચકાચક અને ટકાટક થયું છે શહેર. 

શ્રીગણેશ થયા એક નંબર ચા સાથે. પ્રથમ ગ્રાસે મક્ષિકા નહીં, કેવું સરસ!

દોસ્ત કૌશિકના મિત્રની ફાંકડી હોટેલ શહેરમાં હતી. રિક્શા મારીને પચાસની પત્તી (મુંબઈમાં જે રાઇડના વીસેક રૂપિયા થાય એના) ખર્ચીને પહોંચ્યા હોટેલ. મસ્ત રૂમ, અને એનાથી મસ્ત, મળતાવડો, સેવાતત્પર સ્ટાફ. રૂમમાં સૌપ્રથમ પ્રવાસની જે વાસ શરીરે બેસી હતી (સુપર ઠંડીમાં વાસ જ બેસે) એનાથી પોતાને મુક્ત કર્યા. બાથટબ સાથેના મોટા બાથરૂમમાંથી નહાઈને બહાર પડ્યા કે ત્રણેત્રણ ચકા થઈ ગયા.

હવે ચાલો, વારાણસી ખેડીએ. 

દિલ્હી અને વારાણસીની ઠંડીમાં કોઈ ફેર નહીં. આ લખાય છે ત્યારે દિલ્હીમાં 14 તો વારાણસીમાં 13 ડિગ્રી ચાલે છે. છતાં દિલ્હી કરતાં મારી બેટી અહીં વધારે ઠંડી લાગે. કારણ તો ખબર નથી પણ હવા વધારે ચોખ્ખી એ કારણ હોઈ શકે. ભરબપોરે અમે ટાઢમાં ધ્રૂજી રહ્યા હતા. દિલ્હીના દિવસોમાં જે કાનટોપીને મર્દાનગી સાથે છુટાછેડા આપ્યા હતા, એની સાથે નાકલીટી તાણીને પુનર્વિવાહ કર્યાં. આવ વહાલી, ક્યાં હતી તું આટલા દિવસ, હેં?

હોટેલમાંથી બહાર પડ્યા ત્યારે ભોજનનો સમય પતુંપતું કરી રહ્યો હતો. ગઈકાલથી પેટમાં જેએનયુવાળી કરી રહેલા ઉંદરડા (જોકે પેટના મામલામાં ઉંદરડાનો ઇરાદો નેક હતો) ઝાઝા બગડે એ પહેલાં શોધી એક રેસ્ટોરાં, બિગ ચિલીઝ. વણખેડેલા શહેરમાં નડતી સમસ્યા એટલે ખાયે તો ખાયે કહાં… પણ દાવ સફળ રહ્યો. પંજાબી ફૂડ મગાવ્યું તો પણ. ગંગાની સહયોગી નદી વરુણા પરના બ્રિજ નજીકની એ નાનકડી હોટલના કર્તાહર્તા, તારું કલ્યાણ થાવ. 

પછી કશેય ફરવાનો પ્રશ્ન રહ્યો નહીં. ટ્રેનની ઊંઘ કાંઈ ઊંઘ ના કહેવાય. અને મુંબઈગરાને ખાધા પછી રાજકોટિયાની જેમ લોટી જવાની તક મળે તો એ કોઈ કાળે એળે ના જવા દેવાય. અમે પહોંચી ગયા હોટેલ અને લંબાવી દીધું… જે થવું હોય તે થાય.

થયું એટલું જ કે એકાદ મોંઘેરી ઊંઘ ખેંચ્યા પછી, મોબાઇલની કલાકેક મેથી માર્યા પછી, ગાદલું છોડ્યું ત્યારે લગભગ સાત વાગી ગયા. અજવાળાએ શિયાળાની આદત પ્રમાણે ધરતી સાથે કિટ્ટા કરી લીધા હતા. ઠંડીએ વધારે જમાવટ કરી હતી. હવે? અમારી હોટેલ અને દશાશ્વમેધ ઘાટ સુધી જવા કોઈક એવોર્ડ આપે તો પણ જવાનો વિચાર નહોતો. જોકે રૂમ તો છોડી જ. ફરવા નીકળીએ અને રૂમવાન થવાનો મતલબ શો? વરુણા બ્રિજ જઈને બબ્બે ચા ઠપકારી નાખી. કુલ્હડની એ ચા એટલે ચા બાકી, એય છ રૂપિયામાં. ચાવાળાને પૂછીને અમે આગળના કોર્ટ વિસ્તાર ગયા. ઉદ્દેશ હતો શાકાહારી રેસ્ટોરાં શોધવાનો. ત્યાં મેળ ના પડ્યો એટલે વળી એક બાઇકસવારને પૂછ્યું. એ કહે સામેથી રિક્શા લો, તાજ કહો અને ઊતરી જાવ ત્યાં. પાંચ-પાંચ રૂપિયા સવારી લેશે. 

ઇલેક્ટ્રિક રિક્શામાં પોણોએક કિલોમીટરે આવેલા પેલા વિસ્તારમાં પહોંચ્યા. ત્યાં ચાર-પાંચ નાની-મોટી રેસ્ટોરાં હતી. શાકાહારી એકાદ જ હતી. જોઈશું, બાકી છેલ્લે હોટેલની રેસ્ટોરાંમાં જમી લેશું. વળતામાં અમે રિક્શા ના લીધી. શું છે કે નાના શહેરમાં બાઇક લઈને સૌ અહીંતહીં ફરે, એટલે એમને મન અડધો-પોણો કિલોમીટર પણ અંતર કહેવાય. મુંબઈગરા આટલા અંતરને ઘોળીને પી જવાય. અમે પણ પી ગયા, ટેસથી, મોજથી અને હોટેલ પહોંચી ગયા.

પહેલી નજરે જેટલું પણ બનારસ જોયું એ માટે મત એવો કે સ્વચ્છતા, સારા રસ્તાની બાબતમાં શહેર ખરેખર ખાસ્સું બદલાયું હશે. આવી ચોખ્ખાઈ દિલ્હીમાં પણ બધે નથી. માણસો એકદમ મિલનસાર અને સરળ. એક પર્યટકને લવ એટ ફર્સ્ટ સાઇટ માટે આનાથી વધારે શું જોઈએ?

આવતીકાલનું શું? ઠંડી એનું કામ કરે, આપણે કાશી માણવું પડે. બને તો સવારના પહોરમાં ઘાટ વિસ્તારે બોટમાં ચડી જવું છે. જોઈએ તો ખરા કે થરથરતા શરીરે ગંગામાં બોટસવારી કરીને કેવીક તૃપ્તિ વળે. જોઈએ તો ખરા કે જે ઘાટ જોવા અને જ્યાં થઈને મોક્ષમાર્ગે જવા અગણિત જીવ તલપાપડ હોય એ ઘાટ જિંદગીમાં પહેલીવાર જોઈએ તો કેવું લાગે. તો, વહેલી પડે સવાર. (ક્રમશઃ)

(14.01.2020)

Share:
Reading time: 1 min
Page 3 of 4«1234»

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

નાથદ્વારા બદલાઈ રહ્યું છે

November 20, 2022

વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

January 6, 2023
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

November 3, 2022

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

આમિરની વાત, બોલિવુડ પર ઘાત

આમિરની વાત, બોલિવુડ પર ઘાત

May 30, 2025
ઓટીટીનું સિનેમા ભક્ષણઃ ભૂલ ચૂક માફ હોં

ઓટીટીનું સિનેમા ભક્ષણઃ ભૂલ ચૂક માફ હોં

May 23, 2025
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.