Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Travel

દુબઈ સફરઃ ભાગ પાંચઃ બુર્જ ખલીફા, દુબઈ મૉલ અને ક્રીક હાર્બર

November 8, 2022 by egujarati No Comments

દુબઈ જનારના મનમાં જે જગ્યાએ જવાની તાલાવેલી હોય એવી એક જગ્યા બુર્જ ખલીફા છે. 829.8 મીટર કે 2,717 ફૂટ ઊંચી આ ઇમારત હાલમાં દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે. એનો રેકોર્ડ તોડે એવી પ્રસ્તાવિત અને અંડર કન્સ્ટ્રક્શન ઇમારતોમાંની એક સાઉદી અરેબિયાની જેદ્દાહ ટાવર છે. એનું બાંધકામ હમણાં ખોરંભે ચડેલું છે. એના અને બુર્જ ખલીફાના ડિઝાઇનર કે આર્કિટેક્ટ એક જ છે. બીજી પ્રસ્તાવિત ઇમારત દુબઈ ક્રીક ટાવર છે જે બુર્જ ખલીફાથી અગિયારેક કિલોમીટરના અંતરે બનશે. જેદ્દાહ ટાવર એક કિલોમીટર ઊંચો અને દુબઈ ક્રીક ટાવર 1,345 મીટર ઊંચો હશે. આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર ઊંચું છે. એક માથે એક 7.40 સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય તો એક દુબઈ ક્રીક ટાવર બને. ગગનચુંબી અને સીમાચિહ્નરૂપ ઇમારતોના મામલે મિડલ ઇસ્ટના દેશો એકમેક અને આખી દુનિયા સાથે સ્પર્ધા કરી રહ્યા છે…

બુર્જ ખલીફા

એક આડ વાત. સાઉદી અરેબિયાના તાબુક પ્રાંતમાં નેઓમ સિટી નામનો અકલ્પનીય અને વિવાદાસ્પદ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. એમાં કાચની બાહ્ય ભીંતોવાળી બે સમાંતર ઇમારતો હશે, જેમનું નામ છે ધ લાઇન. એ લંબાઈમાં 170 કિલોમીટર (હા, 170 કિલોમીટર),પહોળાઈમાં માત્ર 200 મીટર એટલે કે 660 ફૂટ હશે. ઊંચાઈ હશે 500 મીટર એટલે 1,600 ફૂટ. એમાં કુલ ત્રણ લેવલ હશે. જમીન પરનું લેવલ માણસોની આવજા માટે હશે. એની નીચે પહેલું અંડરગ્રાઉન્ડ લેવલ માળખાકીય સુવિધાઓ માટ અને નીચે ત્રીજું લેવલ હાઈ સ્પીડ ટ્રેન માટે હશે. પ્લાનિંગ અનુસાર 2030માં આ ઇમારત જો તૈયાર થઈ જાય તો એ અનેક રીતે અજાયબી હશે. એમાં વાહનો નહીં હોય. શહેરમાં કશે પણ રહેતી વ્યક્તિ માટે દરેક સુખસગવડ કે જરૂરિયાતની ચીજ પગપાળા પાંચ મિનિટ કે ઓછા અંતરે ઉપલબ્ધ હશે. પર્યાવરણના મામલે એ નિસર્ગનો ખજાનો હશે. આખી ઇમારતની વીજળીની જરૂરિયાત માત્ર અને માત્ર રિન્યુએબલ એનર્જીથી પૂરી પાડવામાં આવશે. એમાં પ્રતિ કિલોમીટર 2,60,000 માણસો વસતા હશે. વિશ્વના હાલના સૌથી ગીચ એવા ફિલિપાઇન્સના મનીલા શહેરમાં પ્રતિ કિલોમીટર 44,000 માણસો રહે છે. કલ્પના કરો કે સાઉદીના શાસકોએ કેવી ઇમારત પ્લાન કરી છે. આ ઇમારત બને જશે ત્યારે વિશ્વની સૌથી ઊંચી ઇમારતોમાં બારમા સ્થાને હશે.

આ ઇમારતની વાત એટલે કરી કેમ કે એ ઇન્ટરેસ્ટિંગ છે. એની જાણ દુબઈમાં જ જાઇટેક્સ એક્ઝિબિશનની વિઝિટ વખતે થઈ હતી. એ અલગ વાત કે આ અપ્રતિમ પ્રોજેક્ટ સાથે અનેક વિવાદો પણ સંકળાયેલા છે.
દુબઈ અને બુર્જ ખલીફા પાછા આવીએ. 2010થી દુનિયાની એ સૌથી ઊંચી ઇમારત હોવાનું બહુમાન ધરાવે છે. એ દુબઈ મૉલ સંલગ્ન છે. એનું નિર્માણ દુબઈની એક સૌથી ગંજાવર કંપની એમારે કર્યું છે. બુર્જ ખલીફા આસપાસ એ કંપની નિર્મિત બીજી ઘણી ભવ્ય ઇમારતો છે. આ ઇમારત મૂળે બુર્જ દુબઈ તરીકે ઓળખાવાની હતી. છેવટે નામ બુર્જ ખલીફા પડ્યું. ઇમારત બાંધતાં એમારને ભયંકર આર્થિક ભીડ પડી ત્યારે સમગ્ર યુએઈના અને અબુધાબીના પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયેદ અલ મખ્તોમ વહારે આવ્યા. નાણાકીય સહાય સામે એમની શરત મુજબ બુર્જ દુબઈનું નામ બદલાઈને બુર્જ ખલીફા થયું.
દુબઈ મૉલમાં થઈને બુર્જ ખલીફા જતાં અમારે એક્વેરિયમ જોવાનું હતું. દુબઈમાં સ્વજન હોત નહીં તો અમે ચોક્કસ એક્વેરિયમની વિઝિટ માટે સમય અને પૈસા બેઉ ખર્ચ્યા હોત. એક્વેરિયમ સાથે અંડરવોટર ઝૂની ટિકિટ, જેમ જેમ વિકલ્પો ઉમેરતા જાવ એમ, 169 દિરહામથી 400 દિરહામ વચ્ચે પડે. કોઈક બાળક ભેગું હોત તો અંદર જવામાં માલ હતો, પણ ભાભીએ ડ્રોપ કરતી વખતે સોનેરી સલાહ આપી હતી, “મૉલના પેસેજમાંથી પસાર થતા જેવું એક્વેરિયમ દેખાય છે એવું જ અંદર છે. સમય બચાવવા બહારથી માણી લેજો.”
Continue reading
Share:
Reading time: 1 min
Travel

દુબઈ સફરઃ ભાગ ચારઃ ડ્યુન બેશિંગ, ક્વૉડ બાઇકિંગ અને ડેઝર્ટ સફારી

November 7, 2022 by egujarati No Comments

ક્વૉડ બાઇક

રણમાં માટીના ઢૂવા તો હોય જ. યુએઈની એંસી ટકા જમીન રણપ્રદેશ છે. એંસી ટકા ફળદ્રુપ જમીન ધરાવતા અનેક દેશો કરતાં એણે પ્રશંસનીય પ્રગતિ સાધી છે. યુએઈમાં રણપ્રદેશનો વિશિષ્ટ અનુભવ માણવા ડેઝર્ટ સફારી, ડ્યુન બેશિંગ એટલે રેતીના ઢૂવા પર વાહનમાં પ્રવાસ કરવો અને ક્વૉડ બાઇક એટલે મોટ્ટા ટાયરવાળા વાહનને રેતી પર ચલાવવાનો અનુભવ કરવો.

દુબઈપ્રવાસમાં એક દિવસ સફારીનો હતો. શરૂઆત બપોરથી હતી. સવારે ગયા દુબઈ ફેસ્ટિવલ સિટી મૉલ. આ અને આવા બીજા મૉલમાં આંટો મારતા ટાંટિયાની કઢી થઈ શકે છે. સોળ લાખ ચોરસ ફૂટથી મોટા આ મૉલમાં આઇકિયાનો સ્ટોર પણ હતો. જાતજાતની ચીજો જોઈ. ખરીદીનો પ્રશ્ન નહોતો કેમ કે મુંબઈમાં ક્યાં આઇકિયા નથી? અમુક ચીજો એવી હતી જે કદાચ આપણા આઇકિયામાં ના હોય છતાં, ફ્લાઇટમાં પાછા ફરતા જેટલો સામાન ઓછો એટલી શાંતિ એ મારી જડ માન્યતા છે. વળી શૉપિંગનો સમય હજી આવ્યો નહોતો.
આઇકિયા સામે કેરફોરનો સ્ટોર હતો. આ ફ્રેન્ચ કંપની ભારતમાં આવીને જતી રહી છે. આપણા બિગ બાઝાર (હવે સ્માર્ટ બાઝાર), ડીમાર્ટ વગેરેને ટક્કર આપે એવી સાઇઝ અને ચીજોની વરાઇટી ધરાવતા કેરફોર જેવા બીજા મેગા સ્ટોર્સ પણ છે. અનાજ, કરિયાણાં સહિતની તમામ ખરીદી માટે ત્યાં મેગા સ્ટોર્સ જ મુખ્ય છે. શેરીએ શેરીએ કે રસ્તે રસ્તે હારબંધ દુકાનો નથી. ઘર નજીકની દુકાનો પણ મોટા સ્ટોર હોય. કેરફોરમાં જઈને અમે પરચૂરણ શૉપિંગ કરતાં સમય વિતાવ્યો.
શૉપિંગની વાત વખતે કેરફોર, ડે ટુ ડે, ગિફ્ટ્સ વિલેજ જેવા સ્ટોર્સની વાત કરશું.
ડેઝર્ટ સફારીના એડવાન્સ બુકિંગમાં વિવિધ પેકેજિસ મળે છે. એમાં સામાન્યપણે સામેલ બાબતો છેઃ ઘર કે હોટેલથી પિકઅપ અને ડ્રોપ, ડ્યુન બેશિંગ, ઊંટસવારી (તસવીર ખેંચાવી શકાય એટલા પૂરતી), આરબ વસ્ત્રોમાં ફોટો, મેંદી, સાંજ પછી મ્યુઝિકલ શૉ સાથે ડિનર. પ્રવાસમાં પાણીની બોટલ્સ પણ મળે. સફારી ક્વૉડ બાઇક સહિત કે વગર બુક કરી શકાય. વગર ક્વૉડ બાઇક બુકિંગ કરો તો પહોંચીને બાઇક ભાડે લઈ શકાય. જેવી તમારી ચોઇસ. શહેર પૂરું થાય ત્યાં જુદા જુદા સ્થળે વિવિધ કંપનીઓ સંચાલિત સફારી કેમ્પ્સ છે.
Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice

ઓટીટી નામનું બાળક મેચ્યોર્ડ થવાને રસ્તે છે

November 4, 2022 by egujarati No Comments

નિર્માતાઓ, સ્ટાર્સ જેવી તેવી ફિલ્મો ઓટીટીને પધરાવી શકે પહેલો દોર સમાપ્ત થવાને છે. વાહિયાત સ્ટ્રેઇટ ટુ ઓટીટી ફિલ્મો પાણીમાં બેસી ગઈ એ પછી સમજદારીનું રાઉન્ડ શરૂ થવાને છે. એટલે જ ઓટીટીઝે ઠરાવ્યું છે કે ફિલ્મો સૌપ્રથમ મોટા પડદે જ, પછી ખરીદવાની વાત. 

ફિલ્મો મોટા પડદે જ પીટાઈ રહી છે એવું કોણે કહ્યું? એકવાર આપણે વાત કરી હતી કે સીધી ઓટીટી પર આવતી ફિલ્મો પણ પીટાય છે. એની જાણ ઓટીટીવાળા થવા દેતા નથી. જોકે સત્ય છેવટે પ્રકાશે જ છે. સ્ટ્રેઇટ ટુ ઓટીટી ફિલ્મોના મામલામાં એવો પ્રકાશ દિવાળી આસપાસ પથરાયો. એ પ્રકાશમાં ઉજળું દેખીને ઓટીટીઝે ઠરાવ્યું છે કે જ્યાં સુધી ફિલ્મ થિયેટરમાં ના આવે ત્યાં સુધી ખરીદવાની નહીં. આ નિર્ણય સાથે જાણે એક  અગત્યનું ચક્ર લગભગ અઢી વરસે પતવાને છે. ચાલો, આ ચક્ર ભેદીએ.

બાવીસ માર્ચ 2020 તો યાદ હશે જ. વડા પ્રધાન મોદીએ એ દિવસે દેશભરમાં લૉકડાઉન જાહેર કરવા સાથે બધું થંભી ગયું. બોલિવુડ પણ. એ સ્તબ્ધતા, ભય અને અનિશ્ચિતતામાં બોલિવુડની વલે થઈ. પડદે જવા થનગનતી કેટલીયે ફિલ્મોનાં મિસકેરેજ થવાને હતાં. ત્યારે એમની વહારે ઓટીટી આવ્યાં. એમણે રેડી ફિલ્મો ઊંચી કિંમતો આપીને ગજવે કરી અને રિલીઝ કરવા માંડી. સીધી ઓટીટી પર આવનારી પહેલી મોટી ફિલ્મ આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચનની ‘ગુલાબો સીતાબો’ હતી. પછી લાંબી કતાર અને એ વધુ લાંબી થતી જ ગઈ. ફિલ્મોને જાણે મોટો પડદો ગમતો ના હોય એમ નિર્માતાઓ ઓટીટીની દાઢીમાં હાથ નાખવા માંડ્યા.

એ સમયગાળામાં કાગનું બેસવું અને ડાળનું પડવું જેઓ ઘાટ પણ થયો. એ દુઃખદ ઘટના સાથે સંકળાયેલો હતો. સુશાંત સિંઘ રાજપુતના અકાળ અવસાન પછી એમની આખરી ફિલ્મ ‘દિલ બેચારા’ સીધી ઓટીટી પર આવી. એણે વ્યુઅરશિપના રેકોર્ડ્સ પ્રસ્થાપિત કરી દીધા. લૉકડાઉન જારી હતો. સિનેમાઘરો ક્યારે ખુલશે કોઈ જાણતું નહોતું. એમાં ઇન્ડસ્ટ્રી અને ઓટીટીએ લવ મેરેજ કરી લીધાં.

પછી તો નાણાકીય ભીંસમાં અને પાકી ગણતરી સાથે નિર્માતાઓએ ઓટીટીને ફિલ્મો વેચવા માંડી. એમને તો આવક થઈ અને અદ્ધરતાલ રિલીઝથી મુક્તિ મળી. પ્રમોશનના પૈસા બચવા માંડ્યા એ અલગ. ભેરવાઈ જવાનો વારો ઓટીટીનો આવવા માંડ્યો.

પ્રારંભિક ઉછળકૂદ અને ઉન્માદ પછી સીધી ઓટીટીએ આવતી ફિલ્મોથી દર્શકો ધરાવા માંડ્યા. મફતમાં હોય તો શું, ખરાબ ફિલ્મ જોવામાં સમય શું બગાડવાનો, એ સમજણ દર્શકોમાં વિકસતી ગઈ. પરિણામ અપેક્ષા મુજબનું રહ્યું. નબળી ફિલ્મો નાના પડદે પણ પીટાવા માંડી. એના ઓફિશિયલ આંકડાઓ નથી તો શું. કોમન સેન્સ પણ કોઈક ચીજ છે. 2022ના પસાર થયેલા મહિના યાદ કરો. એમાં ઘણી ફિલ્મો સીધી ઓટીટી પર આવી. કેટલી જોઈ? કેટલી યાદ રહી? કેટલી માટે કોઈને ભલામણ કરી કે આ ફિલ્મ જરૂર જોજો? બહુ ઓછાં નામ યાદ આવશે.

દર્શકોને મતલબ એન્ટરટેઇનમેન્ટથી છે. સારી ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ની જેમ ગમે ત્યાંથી રસ્તો બનાવી લે છે. વગર પ્રચાર અને બિગ સ્ટારની ‘કૌન પ્રવીણ તાંબે’ અને ‘અ થર્સ્ડે’ દર્શકોની પરસ્પર ભલામણથી હિટ થઈ જાય છે. ફિલ્મ અપેક્ષાનુસાર ના હોય તો કાર્તિક આર્યની ‘ધમાકા’ની જેમ સૂરસૂરિયું થઈ જાય છે. કોરોનાકાળમાં ઘણા નિર્માતાઓએ એમની સૂરસૂરિયાંછાપ ફિલ્મો ઓટીટીને આંબલીપીપળી બતાવીને પધારવી હતી. ઓટીટીઝ પણ જાણે હું રહી ગયો એક ધડાધડ શૉપિંગ કરવામાં ઊતરી પડ્યાં હતાં.કોના બાપની દિવાળી?

Continue reading
Share:
Reading time: 1 min
Travel

વારાણસી ડાયરી – ભાગ 03 

November 4, 2022 by egujarati No Comments

“છોટા એક રૂપૈયા યહાં કોઈ નહીં લેગા.”

“ક્યૂં નહીં ચલેગા?”

“કારન તો હમ કો ભી પતા નહીં, લેકિન પૂરે વારાણસી મેં કિસીકો ભી યે સિક્કા દેંગે તો નહીં લેગા. આપકે મુંબઈ મેં વો ચલેગા.”

વારાણસીમાં ત્રીજા દિવસની આ પહેલી પહેલી હતી. એક રૂપિયાનો નાનો સિક્કો અહીં ચાલતો નથી. 

હોટેલથી નીકળીને નવદુર્ગા મંદિરે દર્શન કર્યાં પછી પહેલી ચા પીવા ઊભા રહ્યા, ત્યાં આ આવિષ્કાર થયો. દેશમાં ક્યાંક ફાટેલી નોટ ચાલે (ગુજરાતે આવી નોટો મોજથી પ્લાસ્ટિકમાં પૂરીપૂરીને વરસો ચલાવી) તો ક્યાંક ના ચાલે પાંચ રૂપિયા સુઘીની નોટ. એક રૂપિયાના નાના સિક્કાનું વારાણસીવાળું નવું આવ્યું. 

ગઈકાલનો રિક્શાવાળો બાબુ આજે પણ સાથી અને સારથિ હતો. નવદુર્ગા મંદિર અને દુર્ગાકુંડ મંદિર બેઉ એક જ સ્થાનક છે. ભેલુપુર વિસ્તારમાં સ્થિત આ મંદિર વ્યસ્ત માહોલ વચ્ચે પાવનતા અનુભવાય છે. સંલગ્ન સરોવર છે. ચોતરફ પાકી દીવાલો અને જાળી સાથેના સરોવરનું પાણી પણ ચોખ્ખું. 

નવદુર્ગા મંદિર

મૂળ બંગાળના નાતોરની રાણી ભવાનીએ મંદિરનું નિર્માણ અઢારમી સદીમાં કરાવ્યું હતું. દુર્ગાકુંડનો ઇતિહાસ કાશીનરેશ સુબાહુ સાથે સંકળાયેલો છે. મંદિર બહારની તકતી મુજબ સુબાહુને શશીકલા નામે દીકરી હતી. એના સ્વયંવરની તૈયારી વચ્ચે રાજકુમારીએ વનવાસી રાજકુમાર સુદર્શન સાથે વિવાહ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. રાજાએ વિવાહ કરાવી દીધાં. એનાથી ગિન્નાયેલા અન્ય રાજાઓએ સુદર્શન સાથે યુદ્ધ છેડવા ચાહ્યું. ત્યારે સુદર્શને માતાનું ધ્યાન ધર્યું. માતાએ શત્રુઓથી રક્ષા કરીને તેને વિજય અપાવ્યો. સુદર્શને માતા પાસે વરદાન માગ્યું કે તમે કાશીપુરીમાં રહીને સદૈવ રક્ષા કરો. અહીં માતા જગદંબા દુર્ગારૂપે બિરાજ્યાં.  

મંદિર સંલગ્ન સરોવર એક જમાનામાં ગંગા નદી સાથે જોડાયેલું હતું. આજે નથી. મંદિરમાંની માતાજીની મૂર્તિ સ્વયંભૂ હોવાની માન્યતા છે. પરિસર નાનો છે. પ્રાચીનતા અને રચના મોહક છે. ગર્ભગૃહ આસપાસ પૂજાપાઠ કરવા માટે બેઠક છે. અમુક વિદેશીઓ પણ સાધનામાં વ્યક્ત હતા. પરિસરમાં રાધાકૃષ્ણનું નાનકડું મંદિર હતું. દર્શન કરીને બહાર નીકળ્યા ત્યારે થયું, “કાશીમાં એવી કઈ જગ્યા, શેરી, રસ્તો હશે જ્યાં મંદિર નહીં હોય?”

પછીનો મુકામ કાશી વિશ્વનાથ મંદિર હતો. કાશી વિશ્વનાથનાં બે મંદિર છે, એક પ્રાચીન અને બીજું નવું. પ્રાચીન મંદિરે લગભગ બે વાગ્યે પહોંચવાના હતા. બાબુ કહે, “ત્યારે મંદિર બંધ હશે.” એને ખ્યાલ નહોતો કે અમારા પર વિશ્વનાથ મહાદેવની થોડી વધારે કૃપા છે. મંદિરના કર્મચારીગણમાં મિત્ર શૈલેષ ત્રિપાઠી છે. ગઈ રાતે શૈલેષ સાથે વાત થઈ ચૂકી હતી. એણે જણાવ્યું હતું કે બપોરે આવશો તો નિરાંતે દર્શન કરાવીશ. અમારી રિક્શા પીડીઆર મૉલ સુધી ગઈ. આગળ ત્રણ પૈડાંવાળી પરંપરાગત રિક્શાને નો એન્ટ્રી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તારના સંસદસભ્ય તરીકે, કાશી વિશ્વનાથ પરિસરમાં કરાવેલા ફેરફારો પછી નિયમ અમલમાં આવ્યો છે. એકાદ કિલોમીટરનું અંતર પગપાળા કાપવાનું હતું. મજા પડી ગઈ. નવા શહેરમાં ચાવનું એટલે અનુભવવું. દુકાનો, વાહનો, વટેમાર્ગુઓ, જાતજાતની ચહલપહલ વચ્ચે નિરીક્ષણ અને આનંદના સમન્વય સાથે મંદિરના ચાર નંબર ગેટ પહોંચ્યા. શૈલેષ ત્યાં મળવાનો હતો. ગેટ પર મોબાઇલ સહિત ઇયરફોન સુધ્ધાં લૉકરમાં જમા કરાવવાનાં હતાં. જડબેસલાક સુરક્ષાના ઉપલક્ષમાં આ ગોઠવણ છે. 

 

Continue reading
Share:
Reading time: 1 min
Travel

દુબઈ સફરઃ ભાગ ત્રણઃ માર્ગ વ્યવસ્થાપન

November 4, 2022 by egujarati No Comments
આજે વાત કરીએ દુબઈના રસ્તા, વટેમાર્ગુ, ટેક્સીની
ભારતમાં આપણે આડેધડ વાહનો ચલાવવામાં અને મનફાવે તેમ રસ્તા ઓળંગવામાં ગોલ્ડ મેડલિસ્ટ છીએ. વાંક આપણી પછાત વિચારધારાનો અને નહીં સુધરવાના પ્રણનો છે. વસતિનો વાંક કાઢવો યોગ્ય નથી. વસતિ ચીનમાં પણ છે. ત્યાં માર્ગ અને વાહન સંબંધે શિસ્ત છે. શ્રીલંકા આપણાથી પછાત છતાં ત્યાંની માર્ગશિસ્ત આપણને શરમાવે એવી છે. ઉઝબેકિસ્તાન એક રીતે નગણ્ય દેશ છતાં ત્યાં પણ શિસ્ત છે. મને આ દેશોમાં માર્ગશિસ્તનો જાતઅનુભવ છે. બીજા દેશો પણ મેં જોયા છે અને બહુધા એ સૌ આપણાથી સારા છે.
આપણે ઘણી બાબતે નહીં સુધરનારી પ્રજા છીએ. વડા પ્રધાન મોદીએ પહેલીવાર રાષ્ટ્રધુરા સંભાળતા સ્વચ્છ ભારતની હાકલ કરી હતી. એની કંઈક અંશે અસર થઈ પણ, આ કેવું રાષ્ટ્ર જ્યાં સ્વચ્છતા માટે સર્વોચ્ચ પદે બિરાજમાને વિનંતીગંગા વહાવવી પડે? પછી પણ એવી સ્વચ્છતા નથી જ જેના માટે પોરસાઈ શકાય. વાંક સત્તાધીશોનો પણ છે. એક્સપ્રેસવે છતાં દેશમાં એક-બે કિલોમીટર બિલકુલ ખાડા વિનાનો માર્ગ જડતો નથી. મોટાભાગના એક્સપ્રેસવે પ્રદીર્ઘ ટકે એવા નથી. સામાન્ય માર્ગો તો સાવ ક્ષુલ્લક. મુંબઈમાં એટલા વાહિયાત રસ્તા છે કે વાહન અને વટેમાર્ગુ બેઉ સતત ભયના ઓથારતળે રહે. દેશમાં રસ્તાની આવી દયનીય સ્થિતિ હોય ત્યાંથી વિદેશના ચકાચક, શિસ્તબદ્ધ રસ્તા જોતા એની સરાહના થઈ જાય.
યુએઈમાં પહેલો પગ મૂક્યો હતો મધરાત પછી. એ પણ ઓછી વિકસિત અને ઓછી જાણીતી એમિરેટ રાસ અલ ખૈમામાં. મુખ્ય મુકામ દુબઈ હતો. રાસ અલ ખૈમાથી દુબઈ બાય રોડ ઉમ અલ ક્વૈન, અજમન અને શારજાહ એમ ત્રણ એમિરેટ્સ વટાવી હતી. પહેલી રાતે ખ્યાલ આવી ગયો કે આ દેશ માર્ગના મામલે અવ્વલ છે. અબુધાબીથી રાસ એલ ખૈમા વચ્ચે ઈ-311 એટલે શેખ મહમ્મદ બિન ઝાયેદ માર્ગ પથરાયેલો છે. દેશનો એ સૌથી લાંબો મહામાર્ગ મીનમેખ વિનાનો છે.
એમ નહીં સમજતા કે આવા રસ્તા બનાવતા એ દેશને દાયકાઓ લાગ્યા હશે. 1980ના દાયકા સુધી યુએઈમાં રસ્તા બિસમાર હતા. 1980ના દાયકા સુધી દુબઈથી અબુધાબી પહોંચતા ચાર કલાકથી વધુ સમય લાગતો હતો. ત્યારે રસ્તે લક્ઝરી કાર ઓછી અને ટ્રક તથા ઊંટ વધારે હતાં. ત્યારે રેતીને કિનારે વાહન હંકાતાં. પવન ફૂંકાતા વાહન ફસાયું તો કલ્યાણ થઈ જતું. આજે અબુધાબીથી દુબઈ પહોંચતા કલાક-દોઢ કલાક થાય છે. ત્યાં ખરા અર્થમાં 1990ના દાયકાથી માર્ગોની કાયાપલટ થવા માંડી અને એ પણ કેવી!
Continue reading
Share:
Reading time: 1 min
Page 32 of 33« First...1020«30313233»

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

નાથદ્વારા બદલાઈ રહ્યું છે

November 20, 2022

વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

January 6, 2023
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

November 3, 2022

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

આમિરની વાત, બોલિવુડ પર ઘાત

આમિરની વાત, બોલિવુડ પર ઘાત

May 30, 2025
ઓટીટીનું સિનેમા ભક્ષણઃ ભૂલ ચૂક માફ હોં

ઓટીટીનું સિનેમા ભક્ષણઃ ભૂલ ચૂક માફ હોં

May 23, 2025
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.