“મોમ, પેલી રૂમ તો સાવ ખાલી છે. એને તાળું છે. તો પણ મેં કેરટેકર અંકલને એ રૂમમાં કંઈક ખાવાનું લઈ જતા જોયા છે…”
ડીએસપી રિઝવાન (માનવ કૌલ) અને ગુલનાર (ભાષા સુંબલી)ની દીકરી નૂરી (અરિસ્તા મહેતા) એમના નવાનવા ઘરમાં એને થઈ રહેલા વિચિત્ર અનુભવોની હાર આગળ લઈ જતાં આવું કહે છે. પણ માને એમાં ખાસ રસ નથી કે નથી દીકરીના નિરીક્ષણ પર ખાસ ભરોસો. “બાળક છે નૂરી, એને નક્કી ભ્રમ હશે કે…” અને કેરટેકર ઇકબાલ (ખુરશીદ મીર) તો પરિપક્વ, ગંભીર અને કામથી કામ રાખનારો છે. એ વળી શું કામ…
…અને બારામુલ્લાના આ નવા ઘરમાં રહેવા આવવા સાથે નૂરી અને દીકરા અયાને (રોહન સિંઘ) બીજાં નિરીક્ષણો પણ કર્યાં હતાં. જેમ કે ઘરમાંથી શ્વાનની સખત બદબૂ આવવી, ઘરમાં કંઈક એવું હોવું જે નોર્મલ નથી. પણ શું?
દિગ્દર્શક આદિત્ય સુહાસ જાંબળેએ આદિત્ય ધાર અને મોનલ ઠક્કર સાથે લખેલી નેટફ્લિક્સની ફિલ્મ ‘બારામુલ્લા’ એકવાર જોજો. 2016નો સમયગાળો દર્શાવતી આ થ્રિલરમાં અમુક કમાલનાં તત્ત્વો છે. એવાં જે કાશ્મીરની પ્રલંબ તંગદિલીને, આતંકવાદની સમસ્યાને નવાં પરિપ્રેક્ષ્યમાં પેશ કરે છે. આપણે આ મુદ્દાને આવરી લેતી ફિલ્મ્સ અને સિરીઝ પહેલાં ભલે જોઈ પણ કોઈએ મુદ્દાને આ રીતે મૂક્યો નથી. દર્શક તરીકે આપણને ફિલ્મની કથાના અનપેક્ષિત વળાંકનો ખ્યાલ પણ એવી રીતે આવે છે જે ઝણઝણાટી કરાવી દે.



Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!